દિલને ગમતીલો ઘાવ ત્યાં ઘેરો ન મળ્યો
માત્ર એકાંત મળ્યું, કોઈ ઉમેરો ન મળ્યો
આપણા યુગનું આ કમભાગ્ય છે કેવું ભારે
કે ગયા ચાંદ સુધી ને કોઈ ચહેરો ન મળ્યો.
આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.
જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.
આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?
આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?
લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?
દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.
n ‘આદિલ’
No comments:
Post a Comment